Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

॥ સંત સરિતા ॥

એકમાત્ર પરમાર્થના ઉદ્દેશથી નદી વહ્યા જ કરે છે. એમાં એને કોઈ  અવરોધ નડતો નથી. એનો પ્રવેશ વિઘ્નોની હારમાળાને  કારણે પણ રૂંધી શકાતો નથી. એનું જળ જીવપ્રાણીમાત્રનું જીવન છે. સંત સરિતા સમાન છે. એ સતત વિચરતા જ રહે છે. એ દરેકને જીવનની ઉષ્મા આપતા રહે છે. એમની હૂફાળી હયાતી સર્વનો પ્રાણ બની જાય છે. કોઈને માટે એ પિતાનું છત્ર બની જાય છે, તો કોઈને માટે માતાની મમતા. કોઈના એ મિત્ર બને છે, તો કોઈના માર્ગદર્શક. એ જાત ઘસી નાખે છે. સ્વામીશ્રી ઘસાઈ છૂટ્યા છે – અનેકને ઊજળા કરવા.
આનંદોર્મિઓ છલકાવતી, કલકલ નિનાદ કરતી. વહેતી નદીને કોઈએ કહ્યું : 'તું તો જીવપ્રાણીમાત્ર ઉપર ખૂબ જ ઉપકાર કરે છે. પશુ પંખી, મનુષ્યો બધાં જ તારા પાણીથી તૃષા છિપાવે છે, સ્નાન કરે છે, મનુષ્યો કપડાં ધૂએ છે, તારામાંથી નહેરો કાઢી લોકો ખેતી કરે છે. તું જ્યાં વહે છે તે સૂકીભઠ મરુભૂમિને પણ તું નંદનવન બનાવી દે છે. તારે લીધે અને તારે નામે તો સપ્તસિંધુ સંસ્કૃતિ, નાઇલ સંસ્કૃતિ જેવી વિવિધ દેશોની સંસ્કૃતિઓ રચાય છે. કેટકેટલા ઉપકારો છે તારા વહેવાથી !' નદીએ સહજભાવે કહ્યું : 'હું તો બસ, વહ્યા જ કરું છું.'
સ્વામીશ્રીનું જીવન પણ આ વહેતી સરિતા જેવું છે. આ લોકપાવની સંતસરિતા પાંચેય ખંડની ધરતીને ખૂણે ખૂણે વહે છે. અને અનેકને પાવન કરે છે. હૈયામાં અખંડ શ્રીહરિને ધારીને સર્વત્ર વિચરતા સ્વામીશ્રી દ્વારા લાખો લોકોએ જીવનની તૃષા છિપાવી છે. જીવન નિર્મળ બનાવ્યાં છે. અરે ! બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મના પરમાનંદને પામ્યા છે - નદી દ્વારા સાગરને પામે તેમ.
અડાલજની વાવને કાંઠે સં. ૧૮૬૭માં શ્રીહરિએ પરમહંસોને આદેશ આપેલો કે આ વાવને સરસવના દાણાથી ભરીએ એટલા જીવનું મારે કલ્યાણ કરવું છે. માટે તમે રોજ પાંચ મુમુક્ષુઓને વર્તમાન ધરાવ્યા પછી જ અન્નજળ લેજો. પછી હું તેને યોગ્ય બનાવી મારા અક્ષરધામમાં લઈ જઈશ. પણ આટલો દાખડો તમે કરજો. સ્વામીશ્રીના અવિરત વિચરણનું કારણ શ્રીજીના આ સંકલ્પને મૂર્તિમાન કરવાની તમન્ના છે.
યોગીજી મહારાજના સમયમાં સ્વામીશ્રી સંસ્થાનાં વહીવટી કામો અને સત્સંગ પ્રસાર માટે ગામોગામ વિચરતા. એક જોડિયા સાધુ સાથે ફરવાનું. હંમેશાં ટ્રેનમાં ત્રીજા વર્ગની ટિકિટ જ લેવાની. બગલમાં ઓશીકું અને હાથમાં પત્તરની ઝોળી હોય. ટ્રેનમાં રિઝર્વેશન તો હોય જ નહિ. ઘણી વાર લટકતા કે ઊભા ઊભા મુસાફરી કરે. ગાડામાં, ડમણિયામાં અને ચાલતાંય ઘણી વાર જાય. યોગીજી મહારાજના અક્ષરવાસ પછી ગુરુપદે આવ્યા બાદ પહેલી વાર મુંબઈ પધાર્યા ત્યારે ત્રીજા વર્ગમાં જ પધાર્યા ! ઍરોપ્લેનમાં પણ ટૂરિસ્ટ ક્લાસમાં જ બેસે. ૧૯૮૫માં સુવર્ણતુલા વખતે પણ ટૂરિસ્ટ ક્લાસમાં જ બેસીને લંડન પધારેલા. ખાંભડાથી સારંગપુર વરસતા વરસાદમાં ચાલતા જોયા છે. સંસ્થાના પ્રમુખ છતાં પ્રમુખ તરીકેની કોઈ સવલતો સ્વીકારી નથી. મંદિરમાં સભામંડપમાં જ સૂવાનું, સૌની સાથે જ જમવાનું અને રહેવાનું. સ્વામીશ્રી ગામડાંઓમાં ફરે તેમાં પહેલાં તો કાંઈ વ્યવસ્થા નહિ. ડાંગરામાં અમે સ્વામીશ્રીને કાંકરાવાળી ભૂમિ ઉપર કાંઈ પણ પાથર્યા વિના સૂતા જોયા છે.
૧૯૭૨ના 'નીલકંઠવણી યાત્રા' પ્રવાસમાં તો હાડમારીનો કોઈ પાર નહિ. છપૈયા જતા બલનાન ગામ આગળ બસ બગડી ત્યારે ટ્રેન પકડવા માટે હાથમાં જોડા લઈને દોડતા જોયા છે. જેતપુર ને બાવળામાં મોટરને ધક્કા પણ તેમણે મારેલા છે. ભોયકા જતા ટ્રેક્ટર ગારામાં ફસાયું. તેને કાઢવા બીજું ને પછી ત્રીજું લાવ્યા. તે પણ ફસાયાં, પછી ચોથા ટ્રેક્ટરે પાર પાડ્યું. તુલસીશ્યામથી જૂનાગઢ જતા ગીરના જંગલમાં અટવાઈ જતાં આખી રાત સિંહ અને સર્પોની વચ્ચે રહેવાનું થયેલું. ભાવનગર, ભુજ, રાજકોટ અમદાવાદ અને વિજયવાડામાં તો રિક્ષામાં પણ બેસીને મુસાફરી કરી છે. મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં આવતા ત્યારે આખી રાત ઉજાગરો કરીને સ્ટેશને સ્ટેશને હરિભક્તોને દર્શન આપે. કડકડતી ટાઢમાં ખેડબ્રહ્મામાં રાત્રે ખુલ્લી જીપમાં બિરાજેલા. ૧૯૭૭માં દક્ષિણ ભારતનો પ્રવાસ પણ જીપમાં જ કર્યો હતો.
૧૯૭૭ના અમેરિકાના પ્રવાસમાં તો ન્યુયોર્કથી છેક લોસ એન્જલસ સુધી મોટર દ્વારા જ પ્રવાસ કર્યો. સમય ઓછો એટલે આખી રાતની રાત મોટરમાં બેઠાં બેઠાં જ મુસાફરી કરતા. એકવાર કુર્દુવાડી(મહારાષ્ટ્ર)માં તો રાતે સાડા ત્રણ વાગે અને વડોદરામાં રાત્રે દોઢ વાગે પધરામણીએ ગયા હતા. બનારસમાં વરસતા વરસાદમાં રિક્ષામાં પધરામણીએ જતા જોયા છે. ઇંગ્લેન્ડમાં પણ વરસતા વરસાદમાં પધરામણીઓ કરી છે. ૧૯૭૪માં એક દિવસે સ્વામીશ્રી નડિયાદમાં મંગલા આરતી કરી નીકળ્યા. પીપલગ પછી બોચાસણ રાજભોગનાં દર્શન કરી ધર્મજમાં ઠાકોરજી જમાડ્યા. મહેળાવમાં સાંજે દર્શન કરી, વડતાલમાં સંધ્યા આરતી કરીને ડભાણ પધાર્યા. પછી જેતલપુર દર્શન કરી રાત્રે બાર વાગે અમદાવાદ પધાર્યા. વળી, વચ્ચે પધરામણીઓ કરી લીધી હતી. એક વાર બદલપુરથી આણંદ રાતના બાર વાગે પહોંચ્યા ત્યારે તેરગામ થયેલાં ! અને પચાસથી વધુ પધરામણીઓ થયેલી. 'દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ.' આવી રીતે સતત પરિશ્રમભર્યું વિચરણ કર્યું છે.
તા. ૯-૩-૭૯ના રોજ સ્વામીશ્રી ગારિયાધારથી સવારે આઠ વાગે નીકળ્યા. નિર્જળા એકાદશી હતી. મોરબા, ચારોળિયા, કુતાણામાં પધરામણીઓ કરી વેળાવદર પધાર્યા. નગરયાત્રા અને સભા પછી જોડકા પધરામણીઓ કરી. મોટા ભમોદરા મંદિરની પ્રતિષ્ઠા કરી, રાત્રે સાડા અગિયાર વાગે જેસરમાં જાહેર સભા પૂરી કરી બાર વાગે આરામમાં પધાર્યા. સાથે પધરામણીઓ તો ખરી જ. ૧૯૭૪ના નવ મહિનાના વિદેશ પ્રવાસમાં પણ હજારો પધરામણીઓ થઈ. ફિલાડેલ્ફિયામાં સાંજના ચારથી બીજે દિવસે સવારના ચાર સુધી આખી રાત પધરામણીઓ ચાલી. કારણ કે તે દિવસે વૉશિંગ્ટન જવાનું હતું. હરિભક્ત નારાજ થાય તે તેમને ગમે નહિ. ૧૯૭૭માં સાબરકાંઠામાં ભરઉનાળે વિચરણ ગોઠવાયું. અમે કહ્યું : 'સ્વામી! ઉનાળામાં મુંબઈ સારું રહે, ગરમી ન લાગે.' સ્વામીશ્રી કહે : 'ઉનાળામાં ગામડે સારું રહે, ચોમાસામાં ત્યાં ગારો થાય એટલે હરિભક્તોને ફાવે નહિ.' સાબરકાંઠામાં ૨૭ દિવસમાં ૮૭ ગામોનું ભરચક વિચરણ થયું. આરામનું નામનિશાન નહિ. સુરત જિલ્લામાં ૨૦ દિવસમાં ૯૦ ગામ ગોઠવાયેલાં. કોઈ વખતે પાંચ ગામ નક્કી કર્યાં હોય તો દસ થઈ જાય. પધરામણીમાં પણ એવું. સ્વામીશ્રી બધાનું મન રાખે. ૧૯૭૪માં એન્ડોલા(ઝામ્બિયા)માં સભા પછી ઉતારે આવ્યા. સભામાં આરતી રહી ગયેલી. નિર્જળા ઉપવાસ છતાં ફરીથી રાત્રે બાર વાગે સભામાં આવ્યા. આણંદમાં ૧૯૭૫માં તેમની હાથી ઉપર સવારી નીકળી. બીજે જ દિવસે દાળના ખરડા માટે બસો એંસી દુકાનોમાં પગે ચાલીને પધરામણી કરી !
ગજેરામાં દિવસમાં ૧૫૭ પધરામણી કરી હતી. નાદરી(સાબરકાંઠા) ગામે નગરયાત્રા ત્રણ વાગ્યા સુધી ચાલી. પછી જમી, કથામાં જઈ સાંજના છથી રાતના દસ સુધી ૧૦૦ પધરામણીઓ કરી. વળી, પધરામણીએ નીકળે એટલે વચ્ચે પાણી પીવાનો પણ સમય ન રહે. જમવાનું બે કે અઢી વાગે જ વહેલામાં વહેલું થાય. કોઈ પણ ગામે જાય એટલે સવારે છ વાગે ઊઠીને પછી પૂજાથી પરવારી પધરામણીઓ શરૂ થાય. તેમાં પૂજા બીજે સ્થળે હોય તો ત્યાં જતાં પાંચ-દશ પધરામણીઓ થઈ જાય. પૂજા પછી પાંચ-દશ પધરામણી. પછી નાસ્તો ત્રીજે સ્થળે કરીને પછી બે-અઢી વાગ્યા સુધી પધરામણી ચાલે. પછી ભોજન. સૂતા ન સૂતા ત્યાં બે-ત્રણ ગામો કરી લેતાં. પચીસ-પચાસ પધરામણીઓ કરીને છેલ્લા ગામમાં સમય કરતાં બે-ત્રણ કલાક મોડા પહોંચવાનું. દરેક ગામમાં નગરયાત્રા તો અચૂક નીકળે. ધૂળના ગોટેગોટા ઊડે. પછી સભા અવશ્ય થાય. જમવાનું રાત્રે પોણા અગિયાર કે સાડા અગિયાર કે પોણા બાર વાગે પણ થાય. પછી સૂવાનું. કોઈ વાર જમવાનું વહેલું થાય તો રાત્રે બાર સુધી સભા અવશ્ય ચાલે. સાડા બાર - એક વાગે સૂવાનું થાય. ૧૯૭૭માં લંડનમાં આવી જ રીતે પધરામણીનો ભીડો રહેલો. 'કેમ છો ?' એમ અંદરોઅંદર પૂછવાનો સમય પણ ન રહે.
મહીકાંઠાનાં કોતરોમાં બદલપુર વિસ્તારમાં બબ્બે કિ.મી. ચાલીને છાપરે છાપરે સવારથી સાંજ સુધી પધરામણીઓ કરતા. બામણગામના ટેકરાઓ ઉપર વસેલાં છાપરાંઓની પધરામણીઓમાં તો છાતીમાં હાંફ ચડી જાય. સ્વામીશ્રી ત્યાં પણ ટેકરે ટેકરે જઈ પચાસેક પધરામણી કરી નાંખે. તળાવનાં ડહોળાં પાણી પીને ધોમધખતા તાપમાં ભાલ પ્રદેશની ઝીણી ધૂળમાં મહિનો મહિનો વિચરણ કરતા.
પધરામણી એટલે કેવળ આરતી, પૂજા ને પ્રસાદ નહિ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન ભાવિકોને અને તેમનાં બાળકોનેય વર્તમાન ધરાવે. કંઠી પહેરાવી ભગવાનનો આશરો દૃઢ કરાવે. દોરા, ધાગા, વહેમો દૂર કરાવે, વ્યસનો છોડાવે. પૂજાપાઠના નિયમ આપે, આશીર્વાદ આપે. અક્ષરપુરુષોત્તમની મૂર્તિ આપે અને બે-પાંચ મિનિટમાં તેનું જીવન પલટી નાંખે.
તળાજાનું રીશુભાનું જીવન આવી જ એક પધરામણીમાં પલટાયેલું છે. સાંગાણાના દરબારો સ્વામીશ્રીના બે કલાકના સત્સંગથી સુધરી ગયા. મગનભાઈ સામાણીને ઘેર સ્વામીશ્રી બે દિવસ રહ્યા. તેમની ચોપન વરસની સિગારેટ ગઈ. દુબઈના લખાલુલા તથા એમના બંને પુત્રો પણ સંપૂર્ણ શાકાહારી થઈ ગયા. આદિવાસીઓ અને સંદેશરના વાઘરીઓ તથા ઘણા હરિજનોનાં ગામો પણ સંતસરિતામાં નિર્મળ થઈ ગયાં.
સેલવાસ આદિવાસી વિસ્તારના બોંતેરમાંથી એકતાલીસ ગામોમાં સત્સંગ મંડળો થયાં છે. તેમણે હવે તેમના જૂના ચૂલા ભાંગી નવા કર્યા છે, જેથી તેમની પછીની પ્રજાને ખબર ન પડે કે આપણા પૂર્વજો માંસાહારી હતા. ઘરે એમણે તાડીનાં વૃક્ષો કાપી નાંખ્યાં છે, જેથી પાછળની પ્રજાને ખબર ન પડે કે આપણા વડવા તાડી-દારૂ પીતા હતા.
કરચેલિયા વિસ્તારના દુલાભાઈ કાચું માંસ ખાતા. હવે ગામડે-ગામડે સત્સંગ કરાવે છે. છોટાઉદેપુરના પાંત્રીસ હજાર આદિવાસીઓ આજે સત્સંગી થયા છે. વ્યારાના કુંભારવાડામાં પહેલાં દારૂ પીને રાતના બે વાગ્યા સુધી ધમાલ ચાલતી. હવે ત્યાં સત્સંગ સભાઓ થાય છે. બલવાડાના સુમનભાઈ માંસાહારી હોટલ ચલાવતા. હવે રવિવારની સભા ચલાવે છે. આ ગામ સુધારવા રવિશંકર મહારાજ, જુગતરામ દવે, બબલભાઈ મહેતા વગેરે પણ નિષ્ફળ થયેલા. ત્યાં સ્વામીશ્રીએ સત્સંગ કરાવ્યો. સ્વામીશ્રી મુંબઈમાં ગાંઠના આૅપરેશન પછી પરમાનંદભાઈ પટેલના બંગલે આરામ માટે પંદરેક દિવસ રહ્યા. તેમાં તો તેમનું અને તેમના નોકર-ચાકર બધાનું જીવન બદલાઈ ગયું.
સમાજમાં ડૉક્ટર, પ્રધાન, શિક્ષક, વેપારી, મજૂર વગેરે જોઈએ, તેમ સાધુ પણ સમાજનું અવિભાજ્ય ઘટક છે. સંતો માથે પડેલા નથી. કોઈ અનીતિ આચરે તો સરકાર તેને જેલમાં પૂરે કે દંડ કરે પણ અનીતિ કરાય જ નહિ એવા નૈતિકમૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કામ સરકારનું નથી, તે કામ સાધુનું છે. સ્વામીશ્રી તે કાર્ય ઘરોઘર ફરી ફરીને કરી રહ્યા છે. સ્વામીશ્રી ભ્રષ્ટાચાર, દુરાચાર વગેરે દૂષણોને દૂર કરી સંસાર-સરોવરને સ્વચ્છ રાખે છે.
ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ સાચું જ કહે છે : 'દેશવિદેશમાં સનાતન સંસ્કૃતિના પ્રસાર અને રક્ષા માટે વિચરતા સ્વામીશ્રી ભારતના સાચા હરતા-ફરતા એલચી (મૂવિંગ ઍમ્બેસેડર) છે.'
એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ઓફિસમાં કામ કરતા બધા જ કર્મચારીને ઓફિસમાં ધૂમ્રપાન કરવાની અને ટિફિનમાં માંસાહાર લાવવાની સખત મનાઈ ફરમાવી છે, ત્યારે કેનેડાના રાષ્ટ્રપ્રમુખ ટ્રુડોએ સ્વામીશ્રી માટે કહેલું કથન યાદ આવે છે : 'આજે દુનિયાનો મોટો પ્રશ્ન એ છે કે લોકો ધર્મને માર્ગે ચાલતા નથી, ત્યારે સ્વામીજીના વિચરણથી આજે લોકોમાં ધાર્મિક ભાવના વધી રહી છે.'
'સાધુ તો ચલતા ભલા અને વહેતાં ભલાં નીર.' આ લોકોક્તિ સ્વામીશ્રીએ અવિરત વિચરણ દ્વારા ચરિતાર્થ કરી છે. ગમે તેટલું મોડું થયું હોય છતાં બધા હરિભક્તોને વ્યક્તિગત મળે. ધૂપસળી સમા સ્વામીશ્રી પોતે કષ્ટ સહેતાં અન્યને સુગંધી આપી રહ્યા છે.
'સંત દેશ પ્રદેશ ફરે છે રે, સહુ જનના અઘ હરે છે રે.' ગંગામાં જેમ મલિન જળ પણ ગંગાતુલ્ય થાય છે. તેમ આ સંતસરિતામાં ગમે તેવો પાપી જીવ આવ્યો હોય તે પણ પવિત્ર થઈ જાય છે.
સ્વામીશ્રી હરિભક્તોને હેતપ્રેમથી વ્યસનો તો છોડાવે પણ સાથે-સાથે સત્સંગને માર્ગે પણ સારી રીતે વાળી દે છે. વ્યસનમુક્તિની સાથે વિકારમુક્તિ પણ કરાવી નાખે છે.
શિકાગોમાં સ્વામીશ્રીએ જગદીશભાઈને પૂછ્યું : 'અમેરિકા ગમ્યું ?' એમણે કહ્યું : 'ન ગમે તોય ગમાડવું પડે છે.' સ્વામીશ્રી કહે : 'એવી રીતે ભગવાન અને સંત ન ગમે તોય ગમાડવા. તિલક-ચાંદલો કરવો. આ સત્સંગ એ આપણી સ્વામિનારાયણ ક્લબ.'
સ્વામીશ્રી રવિવારની સભાનો પણ આગ્રહ ઘણો જ રાખે. કેરીચોમાં એક યુવાન રવિવારની સભામાં નિયમિત ન્હોતા આવતા. સ્વામીશ્રી કહે, 'કેમ ? આવું કેવું ?'
તેઓ કહે : 'એવું રહે છે કે મોડેથી જશું. બીજા સભા ભરે જ છે ને !' સ્વામીશ્રી કહે, 'બીજાની દુકાન ચાલે જ છે ને ! ઘરાક તો તે પણ સાચવી લેશે. એવું થાય છે ? માટે રવિવારની સભા ચૂકવી નહિ.'
સ્વામીશ્રીએ જે કષ્ટ વેઠ્યું છે અને વેઠે છે તેને લઈને સત્સંગ આજે લીલોપલ્લવ થઈ વિસ્તરી રહ્યો છે. ‘रंग लाती है हीना पीस जाने बाद ।' પોતે પિસાયા અને રંગ અન્યને આપ્યો !
કોઈ વારે આ અવિરત વિચરણનો વિચાર કરીએ તો એમ થઈ જાય કે પછીની પેઢીને આ સાચું લાગશે કે સ્વામીશ્રી આવું સદેહે વિચર્યા હશે ?
સ્વામીશ્રીએ ૧૯૭૦થી ૧૯૯૦ સુધીના વીસ વર્ષના ગાળામાં સાડા આઠ હજાર ગામો અને દોઢ લાખ ઘરોમાં પધરામણી કરી વિશ્વવિક્રમ સર્જ્યો છે. ૧૯૭૬ના વરસમાં ૭૨૮ ગામો સુધીનું તેમનું વિચરણ થયું છે. એટલે કે મહિનામાં સરેરાશ ૬૧ ગામો ! ઍરપોર્ટથી ઍરપોર્ટ વિચરણ કરનારા ઘણા છે, પણ આદિવાસીના ઝૂંપડાથી માંડી અમેરિકા જેવા દેશોની મહેલાતોમાં, ગરીબ-તવંગર બધાને ત્યાં સમદૃષ્ટિથી વિચરનારા આવા સંત દુર્લભ છે. સ્વામીશ્રી તો સૂર્ય જેવા. સૂર્યનો પ્રકાશ બધે જ જાય. સ્વામીશ્રીને કાંઈ પરધર્મ જેવું છે જ નહિ. જેને પારકું-પોતાનું નથી તે જ ઉદારચરિત મહાપુરુષ છે. વસો અને પલાણાની મસ્જિદમાં મુસ્લિમભાઈએ સ્વામીશ્રીને નિમંત્ર્યા તો ત્યાં પણ પધાર્યા હતા. ખ્રિસ્તી ધર્મનું ચર્ચ હોય કે યહૂદીઓનું દેવળ, શીખોનું ગુરુદ્વારા હોય કે જૈનના દેરાસર, બૌદ્ધનું પેગોડા હોય કે પારસીઓની અગિયારી. સ્વામીશ્રી સર્વધર્મ પ્રત્યે સમાદર દાખવી દરેક ધર્મસ્થાનોનાં દર્શનાર્થે પધારે છે.
હરિભક્તો માટે તો સ્વામીશ્રી કોઈ મુશ્કેલીને ગણકારતા જ નથી. બારડોલી પાસે આવેલ મઢીથી વિદ્યાનગર એક જ દિવસ માટે આવવાનું થયેલું. બીજે દિવસે પાછા મઢી ગયા ! હરિભક્તોને રાજી કરવા આવા આડેધડ ઉત્તરદક્ષિણના ઘણા કષ્ટદાયક કાર્યક્રમો ઊભા થઈ જતા. મણિભાઈ સલાડવાળા ધામમાં ગયા ત્યારે સ્વામીશ્રી મોરબી હતા. ત્યાં સમાચાર મળ્યા એટલે તરત નીકળ્યા. રાત્રે બે વાગે અમદાવાદ આવ્યા ને રાત માથે લઈ મોટરરસ્તે વહેલી સવારે ઠીકરિયા આવ્યા. મણિભાઈની નનામીને કાંધ આપી. અગ્નિસંસ્કાર પછી અગિયાર વાગે અટલાદરા જઈ સ્નાનપૂજા કરી જમ્યા !
આંખે મોતિયો, પિત્તાશય(ગોલ બ્લેડર)નું અને ગાંઠનું આૅપરેશન, પગે વા અને હાર્ટએટેક. આવાં દર્દોએ સ્વામીશ્રીના વિચરણને રોકવા બળવો પોકાર્યો પણ તેને ગાંઠે તો સ્વામીશ્રી શેના ?
મુંબઈના દાનવીર શેઠ દીપચંદભાઈ ગાર્ડીએ માંડવી(કચ્છ)માં ગુજરાત રાજ્ય પાંજરાપોળ ફેડરેશનનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીના વરદહસ્તે કરાવવા સ્વામીશ્રીને આમંત્રણ પાઠવ્યું. ૧૯૮૫ના ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવના ભીડા પછી તરત જ જાન્યુઆરીમાં આ અંગે જવાનું હતું. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ઠીક ન હતું, છતાં ત્યાં પહોંચ્યા. ભુજમાં તાવ પણ હતો છતાં જણાવવા દીધું નહિ. છેવટે ગાંધીધામમાં માંદા થઈ ગયા. શારીરિક તકલીફ વેઠીને પણ તેમનો પ્રસંગ શોભાવ્યો !
૧૯૮૩માં હાર્ટએટેક આવ્યો ત્યારે થયું કે હવે સ્વામીશ્રીનું વિચરણ-પધરામણી સદંતર બંધ થઈ જશે. પણ ૧૯૮૪માં તો એક જ વિદેશપ્રવાસમાં પૃથ્વીના પાંચે ખંડમાં વિચરણ કરી લીધું ! તેમાંય ઘણી પધરામણીઓ થઈ. સમગ્ર ભારતનાં ઘણાં બધાં રાજ્યમાં પણ ઘણી વાર વિચર્યા છે. આ પછી ૧૯૮૫માં કાનમમાં ૨૦ દિવસમાં ૯૫ ગામોમાં વિચરણ થયું ત્યારે તાવ હતો. રોજની ઊભાં ઊભાં ત્રીસ-ચાલીસ પધરામણીઓ થઈ જતી. સારી તબિયતમાં પણ આવું વિચરણ થયું નથી. સ્વામીશ્રીને ૧૯૮૩માં હાર્ટએટેક આવ્યો. તે પૂર્વે તો તેમણે વિચરણમાં હદ વાળી નાખેલી. પધરામણીઓનો પાર નહિ. વાસદમાં નિર્જળા એકાદશી. સ્વામીશ્રીએ સવારે સાડા આઠથી ત્રણ સુધી એકસો એક પધરામણીઓ કરી. ઉતારે આવ્યા અને સીધા સૂઈ ગયા. અમે પૂછ્યું : 'કેમ સૂતા ?'
'ઠીક નથી.' પછી જોયું તો ૧૦૨ ડિગ્રી તાવ !
સંતોએ કહ્યું : 'અત્યારે આવ્યો ?'
તેમણે કહ્યું : 'સવારથી જ શરીર ગરમ હતું.'
'તો પહેલાં કહ્યું કેમ નહિ ?'
સ્વામીશ્રી કહે : 'શરીર તો આમ હાલ્યા કરે, હરિભક્તોને રાજી કરી લેવા.'
સ્વામીશ્રીને ઉમંગ તો બહુ. પણ હવે દેહ ઉમંગને સાથ આપતો નથી. આવા અતિ ઉમંગના વિચરણમાં તો જામનગરમાં પગે સોજા આવી ગયેલા. ડૉક્ટરે આની ગંભીરતા એમને કહી, છતાં તે જ દિવસે હરિભક્તોને રાજી કરવા પાંચ પધરામણીઓ તો કરી જ આવ્યા ! સૌરાષ્ટ્રની કાળઝાળ ગરમીમાં ઉનાળામાં વિચરતાં વિચરતાં સાબરકાંઠા વિસ્તારમાં પધાર્યા. હિંમતનગરમાં ઝાડા થઈ ગયા. અશક્તિ આવી ગઈ. તાવ હતો, છતાં કહે : 'ખેડબ્રહ્મા ખાતમુહૂર્તમાં જવું જ છે.' પછી ખેડબ્રહ્મા સંતોને મોકલી માંડમાંડ તેમને સમજાવી અમદાવાદ લાવ્યા.
થાપે મોટી ગાંઠ થયેલી. ડૉક્ટરે તરત જ આૅપરેશન કરવા કહેલું છતાં પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિરમાં પ્રયાગ પધાર્યા. શાસ્ત્રીજીને આ ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ગદ્‌ગદિત થઈ બોલી ઊઠેલા કે સ્વામીશ્રીનો મારા પ્રત્યે કેટલો પ્રેમ કે આૅપરેશન ઠેલીને ઠેઠ અહીં પધાર્યા !
રાજમહેલ જેવાં મંદિરો છે પણ સ્વામીશ્રી ભાગ્યે જ મંદિરોમાં રહે. રોજ ગામ બદલાય, ગામગામનાં પાણી બદલાય, છતાં આનંદથી વિચરે. ૧૯૮૦માં સ્વામીશ્રી અમેરિકા હતા. આંખે મોતિયો પાકતો હતો. એક વાર ફિલાડેલ્ફિયામાં મોજડી પહેરવામાં અવળસવળ થઈ ગયું. અમે પૂછ્યું : 'કેમ આમ થયું ?'
'બરાબર દેખાતું નથી.'
પછી તરત બોસ્ટનના ડૉક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું : 'થોડા દિવસ મોડા પડ્યા હોત તો આંખે ઝામર થઈ જાત.' અમે પૂછ્યું : 'સ્વામી ! આપને આંખે ઓછું દેખાતું ક્યારનું થયેલું ?'
'ઘણાં દિવસોથી.'
'તો કહ્યું કેમ નહિ ?'
'હરિભક્તોએ રજા લઈને તૈયારીઓ કરી હોય ને આપણે ન જઈએ તો તેમને કેટલી મુશ્કેલી પડે ! આપણું તો જે થવાનું હોય તે થાય, પણ હરિભક્તોને રાજી કરવા.'
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનું પ્રમુખપદ સ્વીકારતી વખતે સ્વામીશ્રી બોલેલા કે ગુરુશ્રી (શાસ્ત્રીજી મહારાજ) તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી, સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ.
ખરેખર ગુરુ સમક્ષ કહેલું આ કથન સ્વામીશ્રી અક્ષરશઃ પાળી રહ્યા છે.
વિચરણમાં ઘણી મુશ્કેલીઓ પડે, છતાં એક વાર બોલેલા : 'હાર્ટએટેક ન આવ્યો હોત તો હજી પહેલાંની જેમ ગામડાં ફરત. બધા હરિભક્તો રાજી થાત.' ઘણી વાર અમને એમ થાય કે સ્વામીશ્રી આટલો બધો ભીડો વેઠે છે તો તેમને તકલીફ થશે. એટલે હરિભક્તોને સમજાવી દઈએ. પણ પછી હરિભક્ત સ્વામીશ્રી પાસે જાય એટલે બારોબાર કાર્યક્રમ ગોઠવાઈ જ જાય. અમે જોતા જ રહી જઈએ !
એક વાર પીપલગથી પધરામણીઓ કરી ડભાણ આવી ગયા. ત્યાં તો પીપલગના હરિભક્તો આવ્યા અને કહે, 'પધરામણીઓ થોડી રહી ગઈ છે.' સ્વામીશ્રી પાછા જઈ, રાતના બાર સુધી પધરામણીઓ કરી પાછા ડભાણ આવ્યા.
કેટલાક અણસમજુ દુરાગ્રહી હરિભક્તો પધરામણીમાં ઘણી વાર મુશ્કેલી પણ ઊભી કરે. એક ગામમાં પધરામણીએ નીકળ્યા ત્યારે સ્વામીશ્રી એક ભાગોળનાં બધાં ફળિયામાં ઘેર ઘેર જઈ બીજી ભાગોળે પહોંચ્યા. ત્યાં તો એક હરિભક્ત આવીને કહે, 'મારું ઘર પેલી ભાગોળે રહી ગયું. હું ખેતરે ગયો હતો, તમે આવો.' એને રાજી કરવા એક કિ.મી. જેટલું અંતર ચાલીને ત્યાં જઈ બીજી ભાગોળે ફરી પાછા આવ્યા.
એક વાર આણંદમાં અઢી વાગ્યા સુધી પધરામણી કરીને સ્વામીશ્રી ડાહ્યાભાઈ ગજ્જરને ઘેર જમવાની તૈયારી કરતા હતા. ત્યાં એક હરિભક્ત આવ્યા. તેમણે કહ્યું : 'બાપા, તમે મારે ઘેર આવી ગયા અને હું તમને શોધવા ગામમાં ગયેલો. મારી ગેરહાજરીમાં આપ આવી ગયા. આપ ફરી મારી હાજરીમાં પધારો.' એમ બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. સ્વામીશ્રી પીરસેલું ભોજન રહેવા દઈ તરત જ તેમને ત્યાં ગયા. પછી ત્રણ વાગે આવી જમ્યા. આવા ગુરુ ક્યાં મળે ?
મુંબઈ જેવા શહેરમાં ચાર-ચાર દાદરા ચડીને પધરામણીએ જવાનું થાય. આદિવાસી વિસ્તારોમાં કાંઈ જ સગવડ ન હોય છતાં મહિનો મહિનો વિચરણ કરે. એક વાર આદિવાસી ગામોમાં ફર્યા ત્યારે બે-અઢી રૂપિયા ભેટના થયા. ત્યાંથી પછી સુરત પધાર્યા. અડધા કલાકમાં આઠ લાખ રૂપિયાની લખણી થઈ. સ્વામીશ્રી પૈસા માટે નહિ, પણ લોકોનાં જીવન પવિત્ર કરવા વિચરે છે. આ પતિતપાવની સરિતાએ અનંત કષ્ટો વેઠીને લાખોનાં જીવન નિર્મળ કરી દીધાં છે.
એક પ્રેરક પ્રસંગ એવો પણ બનેલો કે સ્વામીશ્રી દર વરસે ચોક્કસ દિવસે એક ગામમાં પધારે જ. આવું વરસોથી ચાલ્યું આવતું. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય જરા બગડ્યું એટલે તે ગામના એક વડીલ હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું : 'બાપા, આપ આવી તબિયત છે તો અમારા ગામમાં હમણાં પધારશો નહિ.' કેટલાય હરિભક્તો હવે ખાતવિધિ, લગ્ન વગેરે પ્રસંગો સ્વામીશ્રી સમક્ષ આવીને જ પતાવી લે છે. સ્થળની ધૂળ સ્વામીશ્રી સમક્ષ લાવી ત્યાં જ ખાત કરાવી લે છે.
એક હરિભક્તનો દીકરો ધામમાં ગયેલો. સ્વામીશ્રી આશ્વાસન આપવા ગયા ત્યારે તેમણે સામેથી કહ્યું : 'બાપા ! આપે તો તેને ધામમાં બેસાડી દીધો છે. અહીં આવવાની તકલીફ શું કામ ઉઠાવી ?'
સ્વામીશ્રી વિચરણમાં શ્રીજીમહારાજને ક્ષણવાર પણ ભૂલતા નથી. તેમના ધર્મનિયમને પણ બરાબર પાળે છે. તબિયત સારી રહી ત્યાં સુધી દર વર્ષે શ્રાવણ માસમાં મહિનાનાં કે પંદર દિવસનાં ધારણાં-પારણાં, એકાદશીનો નિર્જળા ઉપવાસ તો ચાલુ જ રહ્યા. ધર્મ-નિયમના ભોગે સત્સંગ વધારવાનો તેમનો જરાય આગ્રહ નહિ. સ્વામીશ્રીએ એક વાર કહેલું : 'દેશ-વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનનાં ચરણારવિંદમાં રાખીએ.'
આવી આ નિર્મળ સરિતાનું પાન કરવાનો સર્વેને અધિકાર છે. તેમનાં ૨૦ વરસનાં વિચરણ-પધરામણીઓને લઈને સત્સંગ બસો વર્ષ જેટલો આગળ વધી ગયો. ઇંગ્લેન્ડમાં ૧૯૭૦માં સો સત્સંગી પણ ન હતા. અત્યારે પચ્ચીસ હજાર થઈ ગયા. વળી, પાંચ મંદિરો થઈ ગયાં. અમેરિકામાં ૧૯૭૦માં ત્રણ સત્સંગી હતા, અત્યારે પંદર હજાર થયા, સાત મોટાં મંદિરો થઈ ગયાં. કેનેડા, દક્ષિણ આફ્રિકા અને દુબઈ જેવા દેશોમાં પણ મંદિરો થયાં. વિદેશોમાં એક ઇષ્ટદેવ અને એક ગુરુને માનવાવાળાનો જો કોઈ મોટો સમુદાય હોય તો તે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનો છે. સ્વામીશ્રીએ અત્યાર સુધી તેર વખત પરદેશ યાત્રા કરી અને ચાલીસેક દેશોને પાવન કર્યા. દેશમાં તો ગુજરાતના ખૂણે ખૂણે વિચર્યા અને ભારત વર્ષમાં અન્ય રાજ્યોમાં ઘણી વાર વિચરણ કર્યું છે. પરભાષી પ્રાંતો અને દેશોમાં પણ મંડળો સ્થપાયાં. આફ્રિકામાં હબસીઓનું મંડળ પણ સ્થપાયું.
સ્વામીશ્રીના વિચરણના પરિપાકરૂપે આજે દેશ-વિદેશમાં ૩૦૦ મંદિરો, ૨૫૦૦ જેટલાં સત્સંગકેન્દ્રો, ૪૫૦ ઉપરાંત સાધુઓ, ૧૩૦૦ બાળ સંસ્કાર કેન્દ્ર, ૧૦૦૦ યુવક સંસ્કાર કેન્દ્ર તેમજ ૧૩૦૦ મહિલા કેન્દ્રો થઈ ગયાં.
પત્રવ્યવહાર પણ સ્વામીશ્રીના હરિભક્તો ને સંતો સાથેના સંબંધનું એક મહત્ત્વનું અંગ છે. તે દ્વારા સ્વામીશ્રી સત્સંગીઓની સંભાળ રાખે છે. આપણને લાગે કે સ્વામીશ્રી પત્ર ઉપર લખે છે પરંતુ ખરેખર તો તેઓ હરિભક્તના હૃદયરૂપી કાગળ ઉપર લખે છે. તેમના શબ્દો હૃદયમાં કોતરાઈ જાય. અહોહો ! સ્વામીએ મને યાદ કર્યો ! સ્વામીશ્રી ઘણા હરિભક્તોને સામેથી સંભારી લખતા હોય છે. પ્રેમીભક્તો આવા પત્રો મેળવીને રોજ દર્શન કરે છે. પત્ર-લેખન દ્વારા તો આફ્રિકામાં સત્સંગ વિકસ્યો છે. રવિસભાની શરૂઆત પણ યોગીબાપાના પત્રોથી થયેલી. પત્રોમાં સમજણની, નિષ્ઠાની, વ્યાવહારિક ગૂંચોના ઉકેલની, નિયમ-ધર્મની, સત્સંગ વધારવાની, આધ્યાત્મિક મૂંઝવણના માર્ગદર્શનની, સત્સંગ સમાચારની એવી ઘણી ઘણી વાતો આવે તેથી જીવને પોષણ મળે. મૂંઝવણના સમયમાં આત્માના અવાજને ક્યાં શોધવો ? સ્વામીશ્રીને પત્ર લખીએ અને તરત જ આત્માનો સાચો અવાજ પ્રત્યુત્તર દ્વારા આવી જ જાય.
પત્ર દ્વારા સ્વામીશ્રી મંદિરમાં સંતોને પણ બળ આપે. મંદિરના વહીવટનો પણ ખ્યાલ રખાવે.
અત્યાર સુધી છેલ્લાં વીસ વર્ષમાં બે લાખથી વધુ પત્રો સ્વામીશ્રીએ લખ્યા છે. અને એટલા જ પત્રો જાતે વાંચ્યા છે !
સ્વામીશ્રી પત્રોની જેમ ટેલિફોન દ્વારા પણ ભક્તોને શાંતિ પમાડતા હોય છે. બાથરૂમમાં નાહતાં, જમતાં, સૂતાં સૂતાં પલંગમાં, વૉકિંગ કરતાં કરતાં પણ ટેલિફોન દ્વારા દેશ-પરદેશના ભક્તોને માર્ગદર્શન આપી દેતા હોય છે.
પોતે તાવમાં હોય તોપણ ફોન ચાલુ જ હોય. કોઈના ટેલિફોન માટે રાત્રે જાગે પણ ખરા. જમવાનું પણ જલદી પતાવી દે. એક હરિભક્તે ફોનમાં પૂછ્યું : 'સ્વામી ! કંઈ સેવા માટે આજ્ઞા આપો.' સ્વામીશ્રી કહે : 'સત્સંગ કરો એ જ મોટી સેવા.' આમાં ઘણા પ્રશ્નો હલ થઈ જાય.
સ્વામીશ્રી લુસાકાથી દક્ષિણ આફ્રિકા ગયા. વચ્ચે મલાવી આવે. સ્વામીશ્રીને સમય નહોતો તેથી જઈ શકાયું નહોતું. ત્યાંથી જિતુ પટેલ નામના યુવકનો ટેલિફોન આવ્યો.
સ્વામીશ્રીએ કહ્યું : 'અમારાથી ત્યાં ન અવાયું. આપણે ફોન દ્વારા અંતરિક્ષમાં મળી ગયા. ત્યાં તું એકલો છે એમ ન માનવું. મુક્તમંડળ સાથે છે. 'આઈ લવ યુ.' પ્રેમ છે તો ફોનમાં મળી ગયા. ત્યાં એકલા હોઈએ તો સંપ્રદાયના ગ્રંથો વાંચવા.'
આમ, ફોન દ્વારા પ્રત્યક્ષ મળ્યાનું સુખ આપી દેતા હોય છે, પ્રત્યક્ષ માર્ગદર્શન આપી દેતા હોય છે.
સ્વામીશ્રીની તબિયત સારી હતી ત્યારે તો બધે જ પધરામણીએ પહોંચતા. કોઈ સાજું-માંદું હોય, હૉસ્પિટલમાં હોય તોપણ તરત પહોંચી જઈ તેને આશીર્વાદ આપે. તેને કેટલી બધી રાહત થઈ જાય ! જાણે રોગ સાવ જતો રહ્યો છે તેવું લાગે. આને 'સ્પિરિચ્યુઅલ હીલિંગ' (Spiritual Healing) કહે છે.
શ્રીજીમહારાજે કહ્યું છે કે એવા ભક્તો એ અમારી નાત છે. સ્વામીશ્રી પણ હરિભક્તોને સ્વજન માને છે.
ભાવનગરમાં ચીમનભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય. તેમની તબિયત ખૂબ જ ખરાબ. મંદિરે અવાય તેમ ન હતું. સ્વામીશ્રી તેમને ઘેર જવા તૈયાર થયા. કોઈએ કહ્યું : 'ત્યાં રસ્તો સારો નથી. મોટર નહિ જઈ શકે.' સ્વામીશ્રી કહે : 'હું ચાલીને જઈશ.' ત્યાં જઈ, દાદરો ચડી તેમને આશીર્વાદ આપ્યા.
સાંકરીમાં સોમાભાઈ પટેલનો નોકર લલ્લુ છેલ્લી માંદગીમાં હતો. સ્વામીશ્રી મંદિરેથી ખાસ તેને આશીર્વાદ આપવા ગયા. મંદિરના મોટર ડ્રાઇવર રામુને જોવા આણંદ હૉસ્પિટલમાં પધાર્યા હતા.
કોઈ અશક્ત હરિભક્ત હોય તો સ્વામીશ્રી જાતે આસનેથી ઊઠી, તેની પાસે બેસી જઈને તેનાં ખબરઅંતર પૂછે. નિષ્ઠાવાન ભક્ત ડાહ્યાભાઈને ત્યાં લીંબાસી રાત્રે બાર વાગે પધાર્યા ! ૮૯ની સાલમાં વલસાડ જિલ્લાના કુંડી ગામના સંનિષ્ઠ કાર્યકર અજિતભાઈ ધામમાં ગયા હતા. સ્વામીશ્રી ડુંગરી હતા. તેઓ કહે : 'આપણે ત્યાં જવું છે.' આચાર્ય સ્વામી કહે : 'તેમના સંબંધીઓ સમજણવાળા છે ત્યાં જવાની તકલીફ લેવાની જરૂર નથી. વળી, તેમને જણાવ્યું પણ નથી.' સ્વામીશ્રી કહે : 'એ સારો કાર્યકર હતો. વળી, વલસાડ જતાં રસ્તામાં આવે છે.' પછી ઢળતી સાંજે તેમના ફાર્મમાં પધાર્યા. અજિતભાઈના પિતા સુખાભાઈને મળ્યા. અજિતભાઈના મોટા ભાઈ બાજુના ગામે થયેલા. ખબર પડતાં તેઓ આવ્યા. એમણે કહ્યું : 'મને ખબર જ હતી કે સ્વામી અહીં આવ્યા વિના નહીં રહે.'
સ્વામીશ્રીને સુંદલપુરામાં હાર્ટએટેક આવ્યો એટલે તેમને તરત જ વડોદરા લઈ જવાનું નક્કી થયું હતું. મોટરો વડોદરાના માર્ગે જતી હતી. વચ્ચે ઓડ ચોકડી પાસે ગાડીઓ ઊભી રહી ગઈ. બધાને બીક લાગી કે સ્વામીશ્રીને શું થયું હશે ? પછી બધા સ્વામીશ્રીની મોટર પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ કહ્યું : 'મેં જ ગાડી ઊભી રખાવી છે. આજે આણંદ ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં આપણે શિક્ષાપત્રી