|
બોચાસણમાં ત્રિવેણી મહોત્સવે સ્વંયસેવકો પર રાજીપો દર્શાવતા સ્વામીશ્રી
બોચાસણમાં તા. ૨૬ થી ૨૮ નવેમ્બર, ૨૦૦૬ દરમ્યાન શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા, બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવ પ્રારંભ અને પ્રમુખસ્વામી મહારાજનો ૮૬મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઊજવાઈ ગયો. આ ત્રિવેણી મહોત્સવ નિમિત્તે દેશ અને પરદેશના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં બોચાસણ પધાર્યા હતા. વિશાળ પાયા પર આયોજિત સમગ્ર મહોત્સવના આયોજન અને તેના વ્યવસ્થાતંત્રમાં સંતોના માર્ગદર્શન પ્રમાણે બી.એ.પી.એસ. સંસ્થાના ૮૭૦૦ સમર્પિત અને શિસ્તબદ્ધ સ્વંયસેવકોએ પ્રશંસનીય સેવા બજાવી હતી. મહોત્સવની પૂર્વસંધ્યાએ યોજાયેલી સ્વંયસેવકસભામાં સ્વામીશ્રીએ યુવા સ્વંયસેવકોની ફોજને અંતરના આશિષ આપ્યા હતાઃ 'સંપ, સુહૃદભાવ અને એકતા હશે તો દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. સેવા કરીએ છીએ એ માન, મોટપ, કીર્તિ, પ્રતિષ્ઠા માટે નથી કે સારા દેખાવા માટે નથી. અત્યાર સુધી બી.એ.પી.એસ. સંસ્થાએ ઘણા ઉત્સવ કર્યા, એમાં ઘણી સારી સેવા બધાએ કરી છે અને એક છાપ પડી ગઈછે કે બી.એ.પી.એસ.ના સમૈયા બહુ સારી રીતે ઉજવાય છે. એનું કારણ યુવકો-સ્વંયસેવકો છે.
તમે અગવડ મુશ્કેલી વેઠી છે. વરસાદ, વાવાઝોડામાં પણ તન, મનથી સેવા કરી છે તો એ સેવા શ્રીજીમહારાજના ચોપડે જમા થઈછે. બીજા કોઈ જમા લે કે ના લે એની તમા કરવી નહીં. કોઈ આવું બોલશે ને આવું બોલશે, પણ એ માટે આપણે વિચાર કરવાનો નથી. બોલવાવાëળા બોલે છે, પણ આપણે આપણું કામ ચાલુ રાખ્યું છે ને રાખવાનું છે.'
|
|